Gandhinagar: નાયબ મુખ્યમંત્રી અને નાણાં વિભાગના પ્રભારી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 187મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના બેન્કિંગ માળખાને મજબૂત બનાવવા, ગરીબ અને ગ્રામીણ વર્ગ સુધી બેન્કિંગ સેવાઓનો વિસ્તાર કરવા અને ખાસ કરીને સાયબર ગુનાઓ સામે સંયુક્ત લડત આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીના વિઝનથી બેન્કિંગ ક્ષેત્રમાં ક્રાંતિ: નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી સીમિત હતી. પરંતુ, વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ અમલમાં આવેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાએ ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ લાવી છે.
તેમણે ઉમેર્યું કે, દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ગુજરાતે લીડ લીધી છે.રાજ્યનું બેન્કિંગ નેટવર્ક આજે 11,000 શાખાઓ સુધી પહોંચ્યું છે.આ પૈકી 56 ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે.આ વિશાળ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે.આ આંકડા સાબિત કરે છે કે રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે.

સાયબર ક્રાઇમ સામે સંયુક્ત સમિતિ દ્વારા લડત
હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્રે સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા માટે પરિણામલક્ષી કામગીરી કરવી પડશે.
તેમણે પ્રશંસનીય ઉદાહરણ આપતા કહ્યું કે, 1930 હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોના સહયોગથી 100 ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી છે.
આ સફળતાને કાયમી બનાવવા માટે તેમણે તાકીદ કરી હતી કે, 1930 પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવામાં આવે,જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂળીને તાત્કાલિક સુરક્ષિત કરી શકાય.

બેન્ક મેનેજરના માનવીય અભિગમની પ્રશંસા
નાયબ મુખ્યમંત્રીશ્રીએ બેન્કના કર્મચારીઓની સતર્કતાનું મહત્વ સમજાવતા અમદાવાદના એક જાગૃત બેન્ક મેનેજર જયેશ ગાંધીનું ઉદાહરણ આપ્યું.તેમણે કહ્યું કે, તાજેતરમાં એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા અને ડરના કારણે પોતાની જીવનભરની કમાણી રૂ. 45 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવીને RTGS કરવા બેંક પહોંચ્યા હતા. મેનેજર જયેશ ગાંધીને કઈક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ સાથે વાત કરી ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને લીધો. તેમણે વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી અને માનવતા ધર્મ નિભાવ્યો.
સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો સાયબર ગુનાઓ ઘટાડવામાં ચોક્કસ સફળતા મળશે.
શ્રેષ્ઠ કામગીરી કરનારા ડિસ્ટ્રિક્ટ મેનેજર્સનું સન્માન
બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્ય સચિવ અને અન્ય મહાનુભાવોનું સંબોધન
રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસે કોવિડ મહામારી દરમિયાન નાગરિકોને સહાયરૂપ થયેલી બેન્કોની કામગીરીની સરાહના કરી હતી. તેમણે સ્વામિત્વ યોજના જેવી મહત્વાકાંક્ષી યોજનાઓને ઝડપી અને સાર્થક બનાવવા માટે લીડ લઈને જરૂરી સહયોગ આપવા તમામ બેન્કોને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી-ગુજરાતના ચેરમેન દેબદત્ત ચંદ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા, ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ મનોજ અયપ્પન સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને બેન્કોના વરિષ્ઠ મેનેજરો સહભાગી થયા હતા.
