Gujarat Unseasonal Rain Relief: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક અને ઉદારતમ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આપદાની વેળાએ ધરતીપુત્રોની સાથે રહીને આપેલા આ ઉદારતમ પેકેજ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
એટલું જ નહીં, વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે.
11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરાયું
તેમણે બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરીને રાજ્યના ખેડૂતો પર આવી પડેલી વિપદામાં સમગ્રતયા 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે.
15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું.
ખેડુતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ માટે 16500થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે.
તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરાશે
કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
