Bhavnath Mahashivratri Fair: મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની પૂર્ણાહુતિ થઈ. મહાશિવરાત્રિના દિવસે સવારથી જ ભવનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબો જોવા મળ્યા હતા. રવેડીમાં સાધુઓના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. ભવનાથના પાંચ દિવસીય મેળાની 25 લાખથી વધુ ભાવિકોએ મોજ માણી હતી. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીના પાંચ દિવસીય આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે.
ભવનાથના મેળાને સફળ બનાવવા અને શ્રદ્ધાળુઓ તથા સાધુ સંતોને કોઇ અગડવતા ન રહે એ માટે તંત્ર અને પોલીસ દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી છે. વહેલી સવારથી મહાદેવના દર્શનાર્થે ભવનાથ મંદિરે બ્હોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. સરકારી આંકડા અનુસાર ચાર દિવસમાં 9 લાખ જેટલા શિવભક્તો આ મેળામાં આવ્યા છે અને ભોળેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી છે. સમગ્ર મહાશિવરાત્રી મેળાનું લાઇવ પ્રસારણ ભવાનથ મંદિરની વેબાસઇટ પર જોવા મળી શકે છે. તેમજ અહીં ભવનાથ મેળાની યૂ-ટ્યૂબ ચેનલનું લાઇવ સ્ટ્રીમિંગ આપવામાં આવ્યું છે.
ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાની ખાસિયત અને મુખ્ય આકર્ષણ નાગા સાધુઓ દ્વારા યોજાતી શાહી રવેડી છે. તપતી ધૂણી ધખાવી, શરીરે ભસ્મ ચોળીને મહાદેવની આરાધના કરતા સાધુઓના દર્શનાર્થે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિભિન્ન રાજ્યો અને વિદેશમાંથી બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આ વખતે રવેડી 2 કિ.મી.ની યોજાનારી છે.
રવેડી જૂના અખાડા ની જગ્યાથી શરૂ થશે. ત્યારબાદ મંગલનાથ આશ્રમ રોડ, વાણંદ સમાજ રોડ, શેરનાથ બાપુ આશ્રમ રોડ, ખોડિયાર આશ્રમ, આનંદ આશ્રમ રોડ, લાલ બાપુ આશ્રમ રોડ, તોરણિયા ઉતારો રોડ, પાંચ અગ્નિ અખાડા માર્ગ થઇ ભવનાથ મંદિર મૃગિકુંડ પહોંચશે.

ભવનાથના મેળામાં યોજાઈ રહેલી શાહી રવેડીના માર્ગો પર ભક્તોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી છે, જેને જોતા તંત્ર દ્વારા રૂટની બંને બાજુ મજબૂત બેરિકેટ્સ ગોઠવી દેવામાં આવ્યા છે જેથી રવેડી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. હજારો ભાવિકો આ અલૌકિક દ્રશ્યોને નિહાળવા કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને પ્રતીક્ષા કરી રહ્યા છે.
શાહી રવેડીના ભ્રમણ બાદ મધ્યરાત્રીએ તમામ સંતો અને નાગા સાધુઓ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે. મૃગીકુંડ વિશે એવી પૌરાણિક માન્યતા છે કે સ્વયં ભગવાન શિવ પણ સાધુના સ્વરૂપે આ કુંડમાં સ્નાન કરવા પધારે છે, આથી તેનું સ્નાન અત્યંત પવિત્ર મનાય છે. શાહી સ્નાન વિધિ પૂર્ણ થયા બાદ, ભગવાન ભવનાથની મહાપૂજા અને આરતી સાથે આ ભવ્ય મેળાનું સમાપન થશે.
