Morbi Rain News: મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદી-નાળાઓ અને ખેતરો બે કાંઠે વહી રહ્યા છે, ત્યારે પ્રશાસનની સતર્કતા અને બચાવ ટીમોની જહેમતથી મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી.
ખેતરોમાં પાણી ભરાતા અંદાજે 55 લોકો ફસાયા
હળવદ તાલુકાના જુના માલણીયાદ અને સુખપર ગામે ભારે વરસાદના પાણી ફરી વળતા ખેતરોમાં અંદાજે 55 જેટલા લોકો ફસાયા હતા. આ પૂરગ્રસ્તોમાં નાના બાળકો તેમજ ભાઈઓ અને બહેનોનો સમાવેશ થતો હતો. અચાનક પાણીનું સ્તર વધી જવાથી આ તમામ લોકો ખેતરમાં જ ફસાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.

NDRF અને SDRF અને સ્થાનિક પોલીસ મદદે આવી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. મોડી રાત્રે જ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), SDRFઅને સ્થાનિક ગુજરાત પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અંધારી રાત અને સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ બચાવ ટીમોએ અડગ સાહસ અને સૂઝબૂઝ દાખવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે પ્રવાહની વચ્ચે પણ બચાવકર્મીઓએ જીવના જોખમે ખેતરમાં ફસાયેલા તમામ 55 લોકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

પૂરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ 55 લોકોને તાત્કાલિક ધોરણે નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમના માટે પ્રાથમિક આરોગ્ય તપાસ, ખોરાક અને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રની સમયસૂચકતા અને બચાવ ટીમોની સમયસરની કામગીરીને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી હતી, જેના કારણે ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યારની સ્થિતિમાં નદી-નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

