Vadtal Dham Guru Purnima Festival: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અક્ષરધામ તુલ્ય નગરી વડતાલધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અત્યંત ધામધૂમપૂર્વક અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ દેશ-વિદેશથી ઉમટી પડેલા હરિભક્તોની ભારે ભીડને કારણે મંદિર પરિસર ભક્તોથી છલકાઈ ગયું હતું.
શાસ્ત્રોક્ત પૂજન અને કીર્તન ભક્તિ
મહોત્સવની શરૂઆતમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે શણગાર આરતી બાદ ગુરુઓના ગુરુ એવા હરિકૃષ્ણ મહારાજનું વિશેષ પૂજન અને પાદુકા પૂજન કર્યું હતું. મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે આ પૂજા વિધિ સંપન્ન કરાવી. ત્યારબાદ પવિત્રાનંદ સ્વામી સભા મંડપમાં કલાકુંજ મંદિર દ્વારા કીર્તન ભક્તિનો સુંદર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો, જેમાં ભક્તો ભાવ વિભોર બન્યા હતા.

ભક્તિનો મહિમા અને કથા શ્રવણ
આ પ્રસંગે જેતપુર ગાદી સ્થાનના સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા ગુરુપૂર્ણિમા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. તેમણે ભક્ત ચિંતામણી ગ્રંથના આધારે જણાવ્યું કે, ભગવાનના ચરિત્રોનું ચિંતન અને મનન કરવું એ કલ્યાણનું સૌથી મોટું સાધન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભક્તિ એ મુક્તિ કરતા પણ શ્રેષ્ઠ છે અને ભગવાનની મૂર્તિનું સ્મરણ તેમજ નામ લેવું એ જ જીવનનું સાર્થક્ય છે.

રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ
ગુરુપૂર્ણિમાના આ પવિત્ર અવસરે રાજ્ય સરકારના મંત્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય પંકજ દેસાઈ અને ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ સહિતના સંગઠનના હોદ્દેદારોએ વડતાલ ધામની મુલાકાત લીધી હતી. આ તમામ મહાનુભાવોએ આચાર્ય મહારાજ અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો સંદેશ
સભામાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી અને સંપ્રદાયના વિવિધ ધામોથી પધારેલા સંતોએ આચાર્ય મહારાજનું પુષ્પહારથી પૂજન કર્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે સંપ્રદાયનો સાચો અર્થ ગુરુ પરંપરા છે અને આપણે શ્રી હરિની આજ્ઞા અને શિક્ષાપત્રીના વચનો મુજબ જીવન જીવવાનું છે.
દ્વિશતાબ્દી મહોત્સવનું જાહેર આમંત્રણ
આ પ્રસંગે તેમણે આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ધોલેરા 200 દ્વિશતાબ્દી મહોત્સવ માં પધારવા માટે તમામ હરિભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન અંદાજે 750,00 જેટલા હરિભક્તોએ ખૂબ જ શાંતિપૂર્વક મહાપ્રસાદનો લાભ લીધો અને સમગ્ર આયોજનથી વડતાલધામ ગુરુ પૂર્ણિમામય બની ગયું હતું.
