Narmada કોર્ટની 7 વર્ષની સજા સામે સ્ટે લેવા ચૈતર વસાવાએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા : 5 ઓગસ્ટે જામીન અરજી પર સુનાવણી

નર્મદા કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારાયા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે, જામીન અને અપીલની અરજી કરી છે. આ અરજી પર 5 ઓગસ્ટે સુનાવણી થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 03 Aug 2026 12:20 PM (IST)Updated: Mon, 03 Aug 2026 12:20 PM (IST)
chaitar-vasava-gujarat-high-court-bail-plea-narmada-court-7-years-jail-sentence-forest-officer-firing-case

Chaitar Vasava Bail Plead: ફોરેસ્ટ ઓફિસર સાથે માથાકૂટ અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા અને સજા સામે સ્ટે મેળવવા માટે અને જામીન માટે ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. હાઈકોર્ટમાં તેમની આ અરજી પર 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે,

ચૈતર વસાવા સહિત 9 આરોપીઓને સજા

કેસની વિગતે વાત કરીએ તો, જમીનના વિવાદ બાબતે ફોરેસ્ટ ઓફિસરોને ઘરે બોલાવીને માર મારવો, ધમકી આપવી અને હવામાં રિવોલ્વરથી ગેરકાયદેસર ફાયરિંગના ગુનામાં ચૈતર વસાવા અને તેમની સાથેના અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની વિવધ કલમો અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઈને નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં ચૈતર વસાવા અને પત્ની શંકુતલા વસાવા સહિત 9 આરોપીઓને સાત વર્ષની કેદ આપી હતી.

નર્મદા કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં સ્ટેની અરજી

દોષિત ઠેરવવામાં આવેલા આરોીપઓ પૈકીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું છે. તેમજ હાઇકોર્ટમાં જામીન, અપીલ અને નર્મદા કોર્ટના ચુકાદા ઉપર સ્ટે માંગતી પિટિશન દાખલ કરી છે. જેને લઇને 5 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાશે., તો નોંધનીય બાબત એ છે કે, તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત 5 આરોપીઓની જામીન અરજી મંજૂર રખાઈ હતી. કોર્ટે એ નોંધ્યુ કે, તેઓ આ ઘટનામાં મુખ્ય આરોપી નહોતા અને કોઈને ઇજા પહોંચાડી નહોતી.

શું હતો સમગ્ર મામલો

આ કેસની વિગતે વાત કરીએ તો, જંગલ ખાતાના અધિકારીઓ દ્વાારા સ્થાનિક આદિવાસી લોકોએ વાવેલા કપાસના પાકને હટાવીને સામાન વેચી દીધો હોવાનો આરોપ હતો, આથી વળતર અપાવવા માટે ગ્રામીણોએ ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો, જે બાદ ચૈતર વસાવાએ અધિકારીઓને મળવા બોલાવ્યા, જે બાદ જંગલના અધિકારીઓ વળતર આપવા સંમતિ આપતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ પછી વન વિભાગના ઉચ્ચ અધિકારી ના કહેવાથી પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી.

ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને રુ.60 હજારનું વળતર માગ્યુ હતું. આ દરમિયાન તેમણે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કર્મચારીઓ પાસેથી બળજબરીથી એટીએમમાંથી નાણાં ઉપડાવી ખેડૂતોને આપવાં મજબૂર કર્યા હતા.