Sardar Sarovar Dam: ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં નવાનીરનું આગમન થતાં જળસંચયમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમની જળસપાટી વધીને 128.39 મીટર પર પહોંચી ગઈ છે. આ સાથે જ નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.
નર્મદામાં નવી નીરના આગમનથી ઉત્સાહનો માહોલ
હાલમાં ડેમમાં ઉપરવાસમાંથી સતત 10,271 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદને કારણે જળાશયમાં નીર સતત વધી રહ્યા છે, જેનાથી ખેડૂતો અને રાજ્યવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આકાશી દ્રશ્યો અને કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ડેમ અને તેની આજુબાજુના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે સમગ્ર પરિસરમાં આહલાદક અને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે. ડ્રોન કેમેરાથી લેવાયેલા આકાશી દ્રશ્યોમાં નર્મદા ડેમ અને તેની આસપાસની સાતપુડા તેમજ વિંધ્યાચળની ગિરિમાળાઓ લીલીછમ ચાદર ઓઢીને અત્યંત મનોહર દેખાઈ રહી છે. ડેમમાં સંગ્રહિત વિષાળ જળરાશિ અને ચોમાસાના આહલાદક વાતાવરણને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

ગુજરાત માટે પીવાના પાણીની સમસ્યા હલ થઈ
નર્મદા ડેમમાં 70 ટકા જેટલો જળજથ્થો ઉપલબ્ધ થઈ જતાં આગામી સમયમાં ગુજરાત માટે પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. ડેમની સપાટીમાં થઈ રહેલા સતત વધારાને પગલે તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ચોમાસાની આ સિઝનમાં નર્મદાના નીર આવવાથી રાજ્યભરમાં હરખની હેલી જોવા મળી રહી છે.

