Navsari News: નવસારીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 5.4 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. બીજી તરફ પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ થયા છે જયારે ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે.
નવસારી જિલ્લામાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં વાંસદામાં 5.8 ઇંચ, નવસારીમાં 5.4 ઇંચ, ખેરગામમાં 4.8 ઇંચ, જલાલપોરમાં 4 ઇંચ, ચીખલીમાં 3.2 ઇંચ અને ગણદેવીમાં 2.8 ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ડાંગ જિલ્લામાં સુબીરમાં 8.2 ઇંચ, વઘઇમાં 4.6 ઇંચ, આહવા(ડાંગ)માં 3.9 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ થયા છે. જેમાં નવસારીમાં 3, ગણદેવીમાં 1 અને વાંસદામાં 7 રસ્તાઓનો સમાવેશ થાય છે. લોકો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકે છે.

ગણદેવીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરાયા
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી સમયગાળામાં ભારે વરસાદ તેમજ તેજ પવનના કારણે વાતાવરણ વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગણદેવી તાલુકાના તોરણગામ, દેવધા, ઊંડાચ (વા. ફ.), ખખવાડા અને અજરાઈ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર કચેરી, પોલીસ, ગ્રામ પંચાયત તથા અન્ય સંબંધિત વિભાગોના સંકલનથી સ્થળાંતરની કામગીરી સુચારૂ રીતે ચાલી રહી છે. સ્થળાંતર દરમિયાન વૃદ્ધો, દિવ્યાંગજનો, સગર્ભા મહિલાઓ, બાળકો તથા અન્ય સંવેદનશીલ નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થળાંતરિત નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
