Umargam Mamlatdar Death: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ઉમરગામના મામલતદાર અને ચૂંટણી અધિકારી દલપતભાઈ બ્રાહ્મણકાચ્છે આપઘાત કરી લેતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવામાં વાંસદાના ધારાસભ્યએ મામલતદારના અંતિમ પગલું ભરવા પાછળ રાજકીય દબાણ હોવાની આશંકા વ્યક્ત કરીને સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસની માંગ કરી છે.
આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, દલપતભાઈ એક પ્રમાણિક સરકારી અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા. તેમના દ્વારા લેવાયેલા આત્મઘાતી પગલાં પાછળ રાજકીય દબાણ હોવાની આશંકા સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા નિવેદનો મુજબ, સત્તાધારી પક્ષના કોઈ પ્રભાવશાળી નેતા દ્વારા તેમને સતત માનસિક રીતે નિશાન બનાવવામાં આવ્યા હોઈ શકે છે.
દલપતભાઈના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ (CDR)ની તપાસ થવી જોઈએ. તેમને ફોન કરીને કોના દ્વારા માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી, તેના નામ જનતા સમક્ષ લાવવામાં આવે. દલપતભાઈને આપઘાત કરવા માટે મજબૂર કરનાર જવાબદાર અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
ધારાસભ્યએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, સરીગામ 2 તાલુકા પંચાયત બેઠક પર ઉમેદવારી કરી રહેલા અપક્ષ ઉમેદવાર રાકેશ રાયને કોર્ટ દ્વારા ગંભીર ગુનામાં સજા થઈ હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ્દ કરવા માટે દલપતભાઈ પર સતત દબાણ કરવામાં આવતું હતુ. જેના કારણે દલપતભાઈ કચેરીમાંથી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો.
મારા પિતાતુલ્ય અધિકારીને જો મરવા માટે મજબૂર થવું પડ્યું હોય, તો તે સમગ્ર આદિવાસી સમાજ માટે ચિંતાનો વિષય છે. હવે અમે ન્યાય માટે આરપારની લડાઈ લડીશું. આદિવાસી સમાજ સાથે અન્યાય એ કોઈપણ કાળે ચલાવી લેવામાં નહીં આવે.
