UpdatedIST

Palanpur City Bus: 15 વર્ષ બાદ પાલનપુરમાં સીટી બસ સેવા ફરી શરૂ, 6 અલગ-અલગ રૂટ પર 9 સિટી બસો દોડશે

આશરે 7 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા વિસ્તારના હજારો દૈનિક યાત્રાળુઓ અને નાગરિકોને આ બસ સેવાનો સીધો લાભ મળશે, જેનાથી તેમની પરિવહન સમસ્યા હળવી થશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Feb 2026 06:24 PM (IST)Updated: Sun 15 Feb 2026 06:24 PM (IST)
city-bus-service-resumes-in-palanpur-after-15-years-9-buses-on-6-routes-692504

Palanpur News: બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 વર્ષના લાંબા અંતરાલ બાદ પાલનપુરમાં ફરી એકવાર સીટી બસ સેવા શરૂ થઇ છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકના હસ્તે આ સેવાનો શુભારંભ કરાયો હતો, જેમાં તેમણે ખુદ બસ ચલાવીને લીલી ઝંડી આપી હતી, જે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સેવાના પ્રારંભથી શહેરીજનોને રિક્ષાના મોંઘા ભાડામાંથી મુક્તિ મળશે અને સુવિધાજનક તેમજ સસ્તું પરિવહન ઉપલબ્ધ થશે.

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરી પરિવહનને સુધારવા અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉદ્દેશ્યથી આ સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કુલ 9 નવી સીટી બસો 6 અલગ-અલગ રૂટ પર દોડશે. આ રૂટ્સ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે એરોમા સર્કલ, સુવર્ણભૂમિ, દિલ્હી ગેટ અને નગરપાલિકા વિસ્તાર સહિતના વિસ્તારોને આવરી લેશે. આશરે 7 કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા વિસ્તારના હજારો દૈનિક યાત્રાળુઓ અને નાગરિકોને આ બસ સેવાનો સીધો લાભ મળશે, જેનાથી તેમની પરિવહન સમસ્યા હળવી થશે.

આ સેવાનો લોકાર્પણ સમારોહ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય અનિકેત ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સાંસદ મયંક નાયકે પોતે સીટ બેલ્ટ બાંધીને બસ ચલાવીને આ સેવાને ખુલ્લી મુકી હતી, જે નાગરિકો માટે સલામતીનો સંદેશ પણ આપી રહી હતી. ઉદ્ઘાટન પ્રસંગે સીટી બસના કેટલાક ડ્રાઇવરો સીટ બેલ્ટ બાંધ્યા વગર જોવા મળ્યા હતા, આ બાબત કોઈએ ધ્યાન દોરતાં તાત્કાલિક ડ્રાઇવરો દ્વારા સીટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા.

પાલનપુરમાં 15 વર્ષના લાંબા ગાળા બાદ ફરી શરૂ થયેલી આ સીટી બસ સેવા ખરેખર શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આનાથી માત્ર સસ્તા અને સુવિધાજનક પરિવહનનો વિકલ્પ જ નહીં મળે, પરંતુ શહેરની પરિવહન વ્યવસ્થામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે. મહાશિવરાત્રીના પાવન પર્વ પર મળેલી આ ભેટથી પાલનપુરના નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેઓ આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા ઉત્સુક છે.