Palanpur News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક અત્યંત ચોંકાવનારી અને રસપ્રદ ઘટના સામે આવી છે. શહેરના માનસરોવર વિસ્તાર નજીક ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવેલા કાટમાળમાંથી પૌરાણિક ચાંદીના સિક્કા મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. સિક્કા લેવા માટે સ્થાનિકોમાં ભારે પડાપડી સર્જાઈ છે.
કાટમાળમાંથી મળી આવ્યા જૂના સિક્કા
મળતી માહિતી મુજબ, પાલનપુરમા 30 જુલાઈ માનસરોવર નજીક મહાજન હોસ્પિટલ બાજુમાં આવેલી ચાહતભાઈ મંડોરાની ખુલ્લી જગ્યામાં કોઈ જૂના ઘર, મકાન કે મંદિર તોડી પાડવામાં આવેલો કાટમાળ નાખવામાં આવ્યો હતો. રાત્રિના સમયે આ કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.
આ સમાચાર મળતાની સાથે જ વહેલી સવારથી જ સ્થાનિકો કાટમાળમાં ચાંદી શોધવા માટે ઉમટી પડ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.
લોકોમાં અફવા અને ચમત્કારની ચર્ચાઓ
સ્થાનિકના જણાવ્યા મુજબ, આ ઘટના રાત્રે 10 વાગ્યા આસપાસ શરુ થઈ હતી. આ કોઈ ચમત્કાર નથી. પરંતુ કોઈ જૂના મંદિર કે દેરાસરનો કાટમાળ અહીં નાખવામાં આવ્યો છે. જેમાંથી પૌરાણિક ચાંદીના સિક્કા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 10થી 12 લોકોને આ સિક્કા મળ્યા છે.
પાલનપુરમાં ટોક ઓફ ધ ટાઉન
જોતજોતામાં આ સમાચાર વાયુવેગે સમગ્ર પાલનપુરમાં ચર્ચાનો વિષય બન્યા છે. જોકે, કાટમાળમાંથી ખરેખર કેટલા સિક્કા મળ્યા છે અને તેની વાસ્તવિક કિંમત કે ઐતિહાસિક મહત્વ શું છે. તે અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. તંત્ર દ્વારા વધુ તપાસ કર્યા બાદ જ સમગ્ર મામલાની હકીકત બહાર આવશે.
