Banas Dairy:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી.
આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલ સહકાર મોડેલ આજે દેશ-વિદેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઈએ જોયેલું સ્વપ્ન બનાસના લોકોએ પૂર્ણ કર્યું છે. સ્વર્ગીય ગલબાભાઈએ પશુપાલકોના હિતમાં વર્ષ ૧૯૮૬માં ફ્કત આઠ ગામની દૂધ મંડળીઓ થકી દૂધ મેળવવાની શરૂઆત કરી હતી તે સંસ્થા આજે ૨૪ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. જે યાત્રા ફક્ત ૪૦૦ રૂપિયાથી શરૂ કરીને આજે ૨૪ હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે તેનો શ્રેય અહીંના પશુપાલકોને જાય છે.
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વર્ષો પહેલા બૃહદ બનાસકાંઠા જિલ્લો સૂકો ભઠ્ઠ વિસ્તાર ગણાતો હતો. આ જિલ્લામાં ફક્ત ચોમાસુ આધારિત એક જ ખેતી થતી હતી. વડાપ્રધાનરી નરેન્દ્ર મોદીએ સૂકા ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોની ચિંતા કરીને સુજલામ સુફલામ્ અને નર્મદા કેનાલ આ વિસ્તારને આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા છે. આજે અહીં વર્ષમાં ત્રણ ખેતી પાક થઈ શકે છે. બનાસકાંઠામાં જળ સંચયનું શ્રેષ્ઠ કામ થયું છે. બનાસની માતા-બહેનોની મહેનતથી આજે બનાસ મોડેલ વટવૃક્ષ બન્યું છે.
અમિત શાહે જણાવ્યું કે, સહકાર મંત્રાલય થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. ડેરીને ચક્રીય વ્યવસ્થા બનાવાશે જેનો સીધો ફાયદો પશુપાલકોને મળી રહેશે તથા આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં ૨૦ ટકાનો વધારો થશે. સરકારની વિવિધ યોજનાઓ થકી શ્વેતક્રાંતિ ૨.૦ ને સફળ બનાવવા અને ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌકોઈ સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. આગામી સમયમાં ડેરી પ્રોડક્ટ સાથે સાથે અનેક ક્ષેત્રમાં સહકારિતાની ભાગીદારી વધારવામાં આવશે. આજે ગામડાનો ખેડૂત પોતાની પ્રોડક્ટ વિશ્વ સ્તરે વેચી શકે તે મુજબની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આગામી જાન્યુઆરી ૨૦૨૬માં દેશની ૨૫૦ જેટલી ડેરીના ચેરમેન અને એમ.ડી બનાસ મોડલ વિકાસને નજીકથી જોવા માટે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે તેમ જણાવ્યું હતું.
અમિત શાહે બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિદીન નિમિત્તે તેમને યાદ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના સહકાર અને ખેડૂતોના હિત માટે લીધેલા પગલાંની સરાહના કરી હતી.
