Panchmahal: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામના બારીયા ફળિયામાં વીજ કરંટની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સસરાને બચાવવા દોડી આવેલી પુત્રવધૂએ પોતાનો જીવ ગુમાવતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉમરાપુર ગામના બારિયા ફળિયામાં રહેતા સુશીલાબેન રાઠોડ (40) પોતાના ઘરે હાજર હતા. આ સમયે તેમના સસરા રાયજીભાઈ રાઠોડ ઘરની નજીક આવેલા ઝાડ પરથી દાતણ તોડી રહ્યા હતા. જેના માટે રાયજીભાઈ લોખંડના સળિયાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો સળિયો નજીકથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી જતાં રાયજીભાઈને વીજ કરંટ લાગતા તેઓ તરફડિયા મારવા લાગ્યા હતા.
આ પણ વાંચો
આ દ્રશ્ય જોઈને સુશીલાબેન તરત જ સસરાને બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. સસરાને બચાવવા જતાં સુશીલાબેન પણ ચોંટી ગયા હતા. જેના કારણે તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા.
આ બાબતની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બન્ને જણાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સુશીલાબેનને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે રાયજીભાઈને વધુ સઘન સારવારની જરૂર જણાતા તેમણે ગોધરા રિફર કરવામાં આવ્યા છે.
