Pavagadh Temple Development: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંપાનેર-પાવાગઢ હવે વૈશ્વિક સ્તરની આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પાવાગઢના સર્વાંગી વિકાસ માટે રૂ. 359 કરોડથી વધુનો મેગા માસ્ટર પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ચાર તબક્કામાંથી પ્રથમ બે તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે.
પાવાગઢ બનશે હેરિટેજ ટૂરિઝમ હબ
જ્યારે ત્રીજા અને ચોથા તબક્કાના વિકાસકામો હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. આ માસ્ટર પ્લાન પૂર્ણ થતાં જ પાવાગઢ વિશ્વના નકશા પર એક અગ્રણી ધાર્મિક અને હેરિટેજ ટૂરિઝમ હબ તરીકે ઉભરી આવશે. શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો 18 જૂન 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢના નવનિર્મિત શિખર પર 500 વર્ષ બાદ ઐતિહાસિક કળશ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મંદિરના પુનરુદ્ધાર બાદ યાત્રાળુઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે. ધ્વજારોહણ બાદ વર્ષ 2022-23થી 2025-26 દરમિયાન કુલ 3.84 કરોડથી વધુ માઈભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા છે. તેની સરખામણીએ 2016-17થી 2021-22 સુધીના 5 વર્ષમાં કુલ 2.32 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. વર્ષ 2016-17માં વાર્ષિક માત્ર 38.67 લાખ શ્રદ્ધાળુઓ આવતા હતા, જે આંકડો વધીને 6.17 કરોડથી વધુ થયો છે.
ત્રીજા તબક્કામાં થનારાં મુખ્ય કામો
માંચી ચોક ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગનું બાંધકામ, ચાંપાનેર ખાતે લેન્ડસ્કેપિંગ, હરિયાળી વિકાસ, આધુનિક ઈલેક્ટ્રિફિકેશન, રોશની અને નવો સજ્જ પાથ-વે બનાવવામાં આવી રહ્યો છે. ચાંપાનેર ખાતે 600થી વધુ વાહનો માટે વિશાળ પાર્કિંગ અને બસ ટર્મિનલની સુવિધા પણ ઊભી કરાશે.

ચોથા તબક્કામાં થનારાં કામો
વડા તળાવ પરિસરને વિશ્વસ્તરીય ટૂરિઝમ હબ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં સુંદર ઉદ્યાન, થીમ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, નયનરમ્ય ઘાટ, વોટર જેટ્ટી, ફૂટ ઓવર બ્રિજ, બર્ડ વોચ ટાવર, પક્ષીપ્રેમીઓ માટે એક્ટિવિટી ઝોન અને ટેન્ટ સિટી નિર્માણ પામશે. આ ઉપરાંત સ્થાનિક હસ્તકળા માટે ક્રાફ્ટ સ્ટોલ્સ અને 500 કાર માટે અલગ પાર્કિંગ સુવિધા બનશે.
આ તમામ કામગીરી પૂર્ણ થવાથી માંચી, ચાંપાનેર અને પાવાગઢ આવતા લાખો શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓને વાહન પાર્કિંગ, રોકાણ અને મનોરંજનની અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે.
