ગોધરામાં હડકાયા શ્વાનનો આતંક : એક જ દિવસે છ નાગરિકો પર હુમલો, શહેરમાં ભયનું વાતાવરણ

સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાતા હવે શહેરના મુખ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તથા પ્રાણી સંરક્ષણ વિભાગને સક્રિય રીતે કામગીરી હાથ ધરવાની જરૂરિયાત ઉઠી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 01 Dec 2025 01:00 PM (IST)Updated: Mon 01 Dec 2025 01:00 PM (IST)
rabid-dog-terror-in-godhra-six-civilians-attacked-in-a-single-day-647712

Raging Dog: ગોધરા શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનોના આતંકથી નાગરિકોમાં ભય ફેલાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસે છ લોકો પર શ્વાનોએ હુમલો કરતા તેમને ઇજા પહોંચી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સતત વધતા શ્વાન હુમલાના બનાવોને કારણે લોકોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે.

હડકાયા કુતરાઓનો ત્રાસ

ગોધરા શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં રખડતા શ્વાનો દ્વારા બચકા ભરવાના બનાવોમાં વધારો થયો હોવા છતાં સ્થિતિ નિયંત્રણમાં લાવવા પૂરતા પગલાં નહિ લેવાયા હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો, ખાસ કરીને બાળકો અને વયસ્કો માટે ઘરની બહાર નીકળવું જોખમભર્યું બન્યું છે. નાના બાળકોથી લઈને રોજગારી માટે બહાર નીકળતા લોકો સુધી, દરેક માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે.

લોકોમાં ભયનો માહોલ

ઘટનાને પગલે લોકોમાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાજનોનું કહેવું છે કે, શહેરમાં વધી રહેલા રખડતા શ્વાનોના ઝુંડને નિયંત્રિત કરવા તંત્રની નિષ્ફળતા જવાબદાર છે. નાગરિકો તંત્રને તરત જ કાર્યવાહી કરીને આવા હડકાયા શ્વાનોને પકડીને યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ રસીકરણ અભિયાનને વેગ આપવાની માંગ કરી રહ્યા છે.

સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાતા હવે શહેરના મુખ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તથા પ્રાણી સંરક્ષણ વિભાગને સક્રિય રીતે કામગીરી હાથ ધરવાની જરૂરિયાત ઉઠી છે. નાગરિકો આશા રાખે છે કે પાલિકા તંત્ર ઝડપી પગલાં લઈ શહેરને ફરીથી સુરક્ષિત અને નિર્ભય બનાવશે.