Shivrajpur Beach: ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર હવે માત્ર ટકાઉ વિકાસ અને આધુનિક માળખાકીય સુવિધાઓ જ નહીં, પરંતુ વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવું માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. રાજ્યના પ્રથમ "ગ્લોબલ બ્લૂ ફ્લેગ બીચ" શિવરાજપુરના સર્વાંગી વિકાસ માટે TCGL (ટૂરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ) દ્વારા કરવામાં આવેલું ₹130 કરોડનું મહત્વાકાંક્ષી રોકાણ હવે આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC), રાજકોટ-૨૦૨૬માં પ્રવાસન રોકાણ માટેનું મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે.

પ્રધાનમંત્રીના 'દેખો અપના દેશ' અભિયાનનું સાકાર સ્વરૂપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "દેખો અપના દેશ" અભિયાનને આગળ ધપાવતા, શિવરાજપુર બીચનું આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબનું રૂપાંતર ગુજરાતનો ટકાઉ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાવાળો પર્યટન અનુભવ પૂરો પાડવાનો અડગ સંકલ્પ દર્શાવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચ ગુજરાતના 2340 કિમી લાંબા દરિયાકાંઠામાં સૌથી સ્વચ્છ, સુંદર અને પરિવારમિત્ર બીચોમાંનું એક છે, જેને ‘બ્લૂ ફ્લેગ’નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. આ માન્યતા પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ અને ઉચ્ચ સલામતીના ધોરણોની ખાતરી આપે છે.

બીચ પર વિશ્વ-સ્તરીય સુવિધાઓનો વિકાસ
શિવરાજપુરના સર્વાંગી વિકાસ પ્રોજેક્ટમાં પ્રવાસીઓને વિશ્વ-સ્તરીય અનુભવ મળે તે માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ₹130 કરોડના રોકાણમાં નીચેની સુવિધાઓનો સમાવેશ થાય છે:
માળખાકીય સુવિધાઓ: અરાઇવલ પ્લાઝા, બીચ પ્રોમેનેડ, ચેન્જિંગ રૂમ, શાવર એરિયા અને બાળકો માટે આકર્ષક ખેલ વિસ્તારો.
પર્યાવરણલક્ષી સુવિધાઓ: સ્લજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને સાયકલ ટ્રેક.
સાહસિક પ્રવૃત્તિઓ: સ્નોર્કલિંગ ઝોન.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹૩૯૩૦ કરોડના વધારાના કામ સાથે ૧૧ કિમીથી વધુ નવા રસ્તાનો વિકાસ પણ હાથ ધરાયો છે. દ્વારકા, બેટ દ્વારકા અને શિવરાજપુરની સમગ્ર પ્રવાસન પટ્ટીનું સુવ્યવસ્થિત માસ્ટર પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે, જે આ વિસ્તારને વધુ આકર્ષક બનાવશે.

VGRC-2026: રોકાણકારો માટે 'મોડલ કેસ સ્ટડી'
તારીખ 10 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્રના પ્રવાસન સર્કિટને વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ઉજાગર કરશે. શિવરાજપુર બીચનું આ સફળ પરિવર્તન રોકાણકારો માટે એક 'મોડલ કેસ સ્ટડી' બનશે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં આધુનિક હોસ્પિટાલિટી, પ્રીમિયમ કોસ્ટલ રિસોર્ટ, વોટર સ્પોર્ટ્સ, ઇકો-ટુરિઝમ અને આધ્યાત્મિક સર્કિટ્સમાં રોકાણની વિપુલ તકો ઉપલબ્ધ છે.

VGRCનું મુખ્ય મિશન ‘રોકાણને મૂડી સાથે અને મૂડીને અવસર સાથે જોડવું’ છે. કચ્છના રણથી લઈને ગીરના ઇકો-ઝોન અને દ્વારકાના ધર્મ પ્રવાસ સુધી, રાજ્યના પશ્ચિમ દરિયાકાંઠામાં પ્રવાસન રોકાણ માટેનો સમય હવે સૌથી અનુકૂળ છે.
