Gujarat Farmer Protest: કાલાવડ તાલુકાના જશાપર ગામે ખેડૂતોના ખેતરોમાં વીજ કંપની દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન ટાવરો ઊભા કરવાના વિરોધમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી સત્યાગ્રહ છાવણીના સમાપન દિવસે ખેડૂતોનો આક્રોશ રસ્તા પર જોવા મળ્યો.
જશાપર ગામેથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ રેલી યોજી કાલાવડ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રેલી દરમિયાન ખેડૂતો દ્વારા 'અમારી માંગો પૂરી કરો', 'યોગ્ય વળતર આપો' તેમજ 'ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં વીજ પોલ અને ટાવરો ઊભા કરશો તો ઉગ્ર આંદોલન થશે' જેવા સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો.
જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી લડત યથાવત
ખેડૂતોનું કહેવું છે કે, તેમની જમીનમાં વીજ કંપની દ્વારા પોલ અને ટાવરો ઊભા કરવામાં આવે તે પહેલાં તેમને યોગ્ય અને સંપૂર્ણ વળતર તેમજ જમીનના ઉપયોગ બદલ પૂરતું ભાડું ચૂકવવું જોઈએ. જો સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી.
આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા કાલાવડ તાલુકામાં છેલ્લા 12 વર્ષથી જમીન માપણીના પ્રશ્નો પણ યથાવત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા સરકારને માંગ કરવામાં આવી.
ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર, પૂરતું ભાડું અને જમીન માપણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેમનો લડત અને આંદોલન યથાવત રહેશે.
