Rajkot: જસદણ તાલુકાના વીરનગરમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક નિર્દોષ મહિલાની ક્રૂર હત્યા નિપજાવવાના ચકચારી કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભુવા નિલેશ કટારાને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સખત સજા ફટકારી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજથી 6 વર્ષ પહેલાં એટલે કે 18 નવેમ્બર 2020ના રોજ આરોપી ભુવા નિલેશ કટારાએ તાંત્રિક વિધિ કરવાના બહાને આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો. આરોપીએ સૌપ્રથમ મૃતક મહિલા ઉર્મિલાબેનને ઢોર માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ક્રૂરતાની તમામ હદો વટાવતા, મકાઈનો પૂડો સળગાવીને મહિલા પર નાખી દીધો હતો. ગંભીર રીતે દાઝી જવાના કારણે ઉર્મિલાબેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ખૌફનાક ઘટના દરમિયાન આરોપી ભુવાએ મૃતક મહિલાના પતિને અન્ય એક રૂમમાં બળજબરીપૂર્વક બંધ કરી દીધો હતો, જેથી તે પોતાની પત્નીને બચાવી ન શકે. કોર્ટે આ કેસમાં રજૂ થયેલા પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખીને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવતા લેભાગુ તત્વો સામે કડક લાલ આંખ કરી છે.
'એનાલિસિસ વિથ વિકાસ મકવાણા'ના વિશેષ એપિસોડમાં મુંબઈના ભીંડી બજાર વિસ્તારની એક રૂવાડાં ઊભા કરી દે તેવી મર્ડર મિસ્ટ્રી રજૂ કરવામાં આવી છે. 14 મે 2006ના રોજ ભીંડી બજારમાં કસાઈની દુકાન પાસેથી એક અજાણ્યા વ્યક્તિનું માથા વગરનું ધડ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
10 વર્ષ સુધી વણઉકેલાયેલા રહેલા આ હત્યા કેસમાં એક બાતમીદારની સચોટ માહિતીના આધારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક કિશન ખારવાની પત્નીએ જ પોતાના પતિને મોતને ઘાટ ઉતારવા માટે બે લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ સોપારી ફિરાસત અને શાહનવાઝ નામના શખ્સોને આપવામાં આવી હતી જેમણે આ નિર્મમ હત્યાને અંજામ આપ્યો હતો.
આ કેસમાં કાયદાનો સકંજો કસાતા બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે આશ્ચર્યની વાત એ છે કે, સજા મળ્યા બાદ આ બંને આરોપીઓ જામીન પર છૂટવામાં સફળ રહ્યા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા.
દિલ્હી અને મુંબઈ પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા એક અત્યંત ગુપ્ત અને સંયુક્ત ઓપરેશનના અંતે આખરે બંને ભાઈઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના ગંભીર ગુનાઓમાં સજા પછી મળતા સરળ જામીન અને કાયદાકીય છટકબારીઓ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
