Rajkot: ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકાસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન હોવાની ફરિયાદોની સાથોસાથ અનેક વિસ્તારોમાં હવે બોરના પાણીમાં ગટરના પાણી ઘુસી જવાની ફરિયાદો ઉઠવા પામી છે.
ગઈકાલે વોર્ડ નં.12મા આર્યમાન રેસીડેન્સી અને ગોવર્ધન ચોકની આજુબાજુના વિસ્તારોમાં બોરમાં ગટરના પાણી આવતાં મહિલાઓમાં દેકારો બોલી ગયો હતો અને આજરોજ સ્થાનિકો એકઠા થઈ રસ્તો બંધ કરી થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરતાં તંત્ર દોડતું થઈ ગયું હતું.
શહેરના મવડી વિસ્તારમાં આવેલી આર્યમન સોસાયટીમાં છેલ્લા 10 થી 20 દિવસથી દૂષિત ભૂગર્ભજળની ગંભીર સમસ્યા ઉભી થતાં રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. સોસાયટીમાં પુરવઠો થતું પાણી ડ્રેનેજ અથવા એસિડ જેવી દુર્ગંધ ધરાવતું હોવાના કારણે તેનો સ્વાદ પણ અપ્રિય બની ગયો છે.
રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ડ્રેનેજનું ગંદુ પાણી ભૂગર્ભજળમાં ભળી રહ્યું છે, જેના કારણે અનેક લોકો ઉલટી, ઝાડા સહિતની આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સમસ્યા વધુ ગંભીર બનતી જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિને પગલે સોસાયટીના રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓએ પાણી પુરવઠા પ્રણાલી અને ડ્રેનેજ લાઇનનું તાત્કાલિક નિરીક્ષણ, લીકેજ શોધી બંધ કરવું, પાણીની ગુણવત્તા ચકાસણી તેમજ જરૂરી સુધારાત્મક પગલાં લેવાની માંગણી કરી છે.
રહેવાસીઓએ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સ્થાનિકોએ અલગ અલગ મુદ્દે રજૂઆત કરેલ
- સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં ડ્રેનેજ અને ગટર પાઇપલાઇનનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ
- બધી અસરગ્રસ્ત સોસાયટીઓમાં દૂષિતતા માટે વ્યાપક પાણી પરીક્ષણ
- ડ્રેનેજ સિસ્ટમમાં લીકેજ/અવરોધની ઓળખ અને કાયમી સુધારો
- જો જરૂરી હોય તો, અસરગ્રસ્ત પાણીના સ્ત્રોતોનું સંપૂર્ણ જીવાણુ નાશકક્રિયા અને ફ્લશિંગ, અથવા 150 ફૂટ રિંગ રોડ વિસ્તાર નજીક મુખ્ય ડ્રેનેજ પાઇપલાઇન બદલવી
- સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી સલામત વૈકલ્પિક પાણી પુરવઠાની જોગવાઈ
- સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી ફરી આવી સ્થિતિ ઉભી ન થાય તે સુનિશ્ચિત કરવું.
