Railway Update: વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે, મુસાફરોની વધતી ભીડને જોતા રેલવેનો મહત્વનો નિર્ણય

વેરાવળ-રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનોમાં અસ્થાયી ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 01 Aug 2026 04:07 PM (IST)Updated: Sat, 01 Aug 2026 04:07 PM (IST)
veraval-rajkot-local-train-extra-general-coaches-added-passenger-convenience
Veraval-Rajkot Local Train Symbolic Image

Veraval-Rajkot Local Train: વેરાવળ-રાજકોટ રેલખંડ પર મુસાફરોની સતત વધી રહેલી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રયાસોથી વેરાવળ–રાજકોટ–વેરાવળ લોકલ ટ્રેનોમાં અસ્થાયી ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

લોકલ ટ્રેનના કોચની સંખ્યા 13 થશે

રેલવે તંત્ર દ્વારા અગાઉ આ ટ્રેનોમાં 3 જૂન 2026 થી 2 ઓગસ્ટ 2026 સુધી 2 વધારાના કોચ જોડવામાં આવ્યા હતા, જેનાથી કોચની સંખ્યા 9 થી વધીને 11 થઈ હતી. હવે મુસાફરોની સતત માંગને જોતા વધુ 2 કોચ ઉમેરવામાં આવતા, દરેક ટ્રેનમાં કુલ 13 કોચ રહેશે. જેમાં 11 જનરલ કોચ અને 2 SLRD લગેજ વાનનો સમાવેશ થાય છે. આ ફેરફારથી મુસાફરોને વધુ બેઠકો મળશે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે.

ટ્રેન મુજબ અમલીકરણની વિગતો

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, વધારાના કોચની વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 59421 રાજકોટ-વેરાવળ લોકલમાં 2 ઓગસ્ટ 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી વધારાના 2 કોચ કાર્યરત રહેશે.
  • ટ્રેન નંબર 59422 વેરાવળ-રાજકોટ લોકલમાં 3 ઓગસ્ટ 2026 થી 1 નવેમ્બર 2026 સુધી વધારાના 2 કોચ જોડવામાં આવશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી શરૂ કરતા પહેલાં ટ્રેન સંચાલન અને નવીનતમ સમયપત્રકની માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ અથવા NTES એપનો ઉપયોગ કરવો.