UpdatedIST

India-EU Trade Deal: ગુજરાતના 4 શહેરોને સીધો ફાયદો, સુરતથી રાજકોટ સુધી નિકાસ અને ઉદ્યોગોને નવી દિશા

India-EU Trade Deal Latest News: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર (India-EU FTA)ને લઈને ગુજરાત માટે મોટા અવસર ખુલ્યા છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 27 Jan 2026 04:59 PM (IST)Updated: Tue 27 Jan 2026 07:06 PM (IST)
india-eu-trade-deal-4-gujarat-cities-set-to-gain-expert-insights-680755

India-EU Trade Deal Latest News: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરાર (India-EU FTA)ને લઈને ગુજરાત માટે મોટા અવસર ખુલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયનેએ યુરોપિયન નેતાઓની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી 16મી India-EU સમિટમાં આ કરાર પૂર્ણ થવાની સંયુક્ત જાહેરાત કરી. આ પગલું ભારત-EU આર્થિક સંબંધો માટે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાઈ રહ્યું છે.

ભારત અને EU અનુક્રમે ચોથા અને બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રો છે, જે વૈશ્વિક GDPના લગભગ 25% અને વૈશ્વિક વેપારના ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. આ બંને મોટા, વૈવિધ્યસભર અને પૂરક અર્થતંત્રોના એકીકરણથી વેપાર અને રોકાણ માટે અભૂતપૂર્વ તકો ઊભી થવાની અપેક્ષા છે.

કાપડ-વસ્ત્રોમાં શૂન્ય ડ્યુટી, નિકાસને વેગ

India-EU FTA હેઠળ કાપડ, વસ્ત્રો અને કપડાંને પ્રથમ દિવસથી શૂન્ય-ડ્યુટી ઍક્સેસ મળશે. પરિણામે $263.5 બિલિયનના EU કાપડ બજારમાં ભારતીય ઉત્પાદનો માટે પ્રવેશ સરળ બનશે, ભાવ પ્રાપ્તિ સુધરશે અને શ્રમ-સઘન ક્ષેત્રોમાં રોજગાર તથા નિકાસ વૃદ્ધિ થશે.

રત્ન-ઘરેણાં ક્ષેત્રને મોટો બૂસ્ટ

રત્નો અને ઘરેણાં ક્ષેત્ર માટે પણ કરાર લાભદાયી સાબિત થવાનો અંદાજ છે. કુલ વેપાર મૂલ્ય અંદાજે ₹22,925 કરોડ સુધી પહોંચી શકે છે, જ્યારે હીરાની નિકાસ $1.6 બિલિયન (લગભગ ₹14,672 કરોડ) સુધી રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગુજરાતના કયા શહેરોને સીધો લાભ?

  • સુરત: કાપડ અને હીરા
  • ભરૂચ-વડોદરા: રસાયણો અને ફાર્મા
  • રાજકોટ અને વેરાવળ: એન્જિનિયરિંગ અને દરિયાઈ નિકાસ
  • આ સાથે MSME અને શ્રમ-સઘન ઉત્પાદનોમાં મજબૂત નિકાસ વૃદ્ધિની સંભાવના છે.

એક્સપર્ટ શું કહે છે?

Indian Diamond Institute (IDI)ના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, 'યુરોપિયન યુનિયનમાં ભારતીય જ્વેલરી પર 8–10% ટેક્સ લાગતો હતો, જે હવે ઘટીને 0–2% સુધી આવી જશે. આથી ઉદ્યોગને મોટી રાહત મળશે. અમેરિકામાં ટેરિફ સંબંધિત પડકારોથી જે નિકાસ પર અસર પડી હતી, તેની ભરપાઈ માટે EU એક મજબૂત વિકલ્પ બનશે. ટેક્સ ઘટતાં ભાવમાં ઘટાડો થશે અને જેમ્સ-જ્વેલરી સેક્ટરને સીધો લાભ મળશે, સાથે જ નિકાસ અને રોજગારમાં પણ સુધારો થશે.'

દિનેશ નાવડીયા

આમ, India-EU FTAથી ગુજરાતના ઉદ્યોગો ખાસ કરીને સુરત, ભરૂચ-વડોદરા, રાજકોટ અને વેરાવળને સીધો ફાયદો થવાની સ્પષ્ટ શક્યતા છે. નિકાસ બજારનું વૈવિધ્યીકરણ, ટેરિફમાં રાહત અને EU જેવી મોટી બજારમાં સરળ ઍક્સેસ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે.