Surat road accident: "રામ રાખે તેને કોણ ચાખે" કહેવતને સાર્થક કરતો કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે. સુરતના દાંડી-નરથાણ રોડ પર એક કાર નહેરમાં ખાબકી હતી. કારમાં દંપતી અને તેમના બે પુત્રો સવાર હતા. જો કે, અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તમામને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા.
દાંડી-નરથાણ રોડ પર સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડના નરથાણ ગામમાં રહેતા 36 વર્ષીય મનીષભાઈ રાઠોડ તેમની 34 વર્ષીય પત્ની ખુશ્બુબેન તથા 8 વર્ષીય અને દોઢ વર્ષીય પુત્ર સાથે શનિવારે રાત્રે અમરોલીમાં સંબંધીના પરિવારને મળીને કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે દાંડી-નરથાણ રોડ પર અંભેટા પાસે અકસ્માત સર્જાયો હતો.
કાર પલટી થઈને નહેરમાં ખાબકી
કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ખીણમાં કાર પલટી થઈને ખાબકી હતી. જોકે, નહેરમાં પાણીનું પ્રમાણ ઓછું હતું. આ બનાવ અંગે તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, તે પહેલા જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.
રાઠોડ પરિવારનો થયો ચમત્કારિક બચાવ
બીજી તરફ નજીકમાં આવેલ કોકણી ગામ પાસે મંદિરમાં શિવલિંગ બનાવી રહેલા કેટલાક વ્યક્તિઓ આ અકસ્માતની જાણ થતાં તાત્કાલિક દોડી ગયા હતા. લોકોએ કારનો દરવાજો ખોલી, તમામને સહી સલામત બહાર કાઢી લીધા હતા. સદનસીબે દંપતી અને તેમના બંને માસૂમ પુત્રોને જરા પણ ઈજા ન થતા ચમત્કારિક બચાવ થયો હતો.
