Surat: વેડ રોડ સ્થિત ડેરીમાં નકલી ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ, 34.05 કિગ્રા ભેળસેળયુક્ત ઘી સાથે ડેરી માલિકની ધરપકડ

વનસ્પતિ ઘી તથા પામોલીન તેલ મંગાવીને તપેલામાં મિક્ષ કરી ચુલા ઉપર ગરમ કરવામાં આવતું હતું અને તે પછી ઘી જેવો કલર લાવવા હળદર મિક્ષ કરવામાં આવતી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 08:28 PM (IST)Updated: Thu, 06 Aug 2026 08:28 PM (IST)
surat-news-dairy-busted-for-adulterated-ghee-owner-arrested

Surat: અગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, ત્યારે ઘીનું વેચાણ પણ વધારે પ્રમાણમાં થતું હોય છે. એવામાં સુરતમાં વેડરોડ ખાતે આવેલી એક ડેરીમાંથી ભેળસેળ યુક્ત ઘી બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 34.05 કિલોગ્રામ ભેળસેળ યુક્ત ઘી પામોલીન તેલ, ઘી જેવો કલર લાવવા માટે હળદર સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ ડેરી માલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત મહિને ઝોન 3 LCB અને ચોકબજાર પોલીસને મળેલી બાતમીના આધારે ફૂડ સેફટી ઓફિસરને સાથે રાખીને વેડરોડ સ્થિત કેશવ પાર્ક સોસાયટી સ્થિત જય યોગેશ્વર ડેરીમાં રેડ કરી હતી. જ્યાં તપાસ દરમ્યાન અહીંથી ભેળસેળ યુક્ત 34.05 કિલોગ્રામ ભેળસેળ યુક્ત ઘી, ઘી બનાવવા માટે સુમુલ ઘીના પાઉચ, પામોલીન તેલ, ઘી જેવો કલર લાવવા માટે હળદર, ડબ્બાના ઢાંકણ તથા ડબ્બા શીલ કરવાનું મશીન સહિતનો સર સમાન મળી કુલ 43,535 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ભેળસેળ યુક્ત ઘીના નમુના લઇ તપાસ કરાવી હતી. રિપોર્ટમાં ઘીનો જથ્થો ભેળસેળ યુક્ત હોવાનું બહાર આવ્યું હતું. જેથી ચોકબજાર પોલીસે ગુનો નોંધી ડેરી માલિક રાજેશકુમાર જગદીશભાઈ પટેલ (42)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ વનસ્પતિ ઘી તથા પામોલીન તેલ મંગાવીને તપેલામાં મિક્ષ કરી ચુલા ઉપર ગરમ કરવામાં આવતું હતું અને તે પછી ઘી જેવો કલર લાવવા હળદર મિક્ષ કરવામાં આવતી હતી. જે બાદ પતરાના 15 કિલોના ડબ્બામાં ભરી ડબ્બાને ઢાંકણ વડે મશીનથી શીલ કરી શુદ્ધ ઘી તરીકે વેચાણ કરવામાં આવતું હતી.

આરોપી છેલ્લા 1 વર્ષથી નકલી ઘી બનાવવાનું કામ કરતો હતો. DCPએ લોકોને અપીલ કરી હતી કે, ક્યાય પણ આવી રીતે નકલી ઘી બનાવવામાં આવતું હોય તો તાત્કાલિક નજીકના પોલીસને જન કરે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય.