આણંદના ખેડૂતે પ્રાકૃતિક ઢબે હળદરની ખેતી કરીને એક વિઘે આશરે 80,000 નો નફો મેળવ્યો

આ ઉપરાંત ચાલુ વર્ષે તેમણે ફરી એક વિઘામાં પ્રાકૃતિક પદ્ધતિથી હળદરની ખેતી કરી છે, જેમાંથી તેમને અંદાજે રૂપિયા 3 લાખ જેટલી આવક થવાની આશા વ્યક્ત કરી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 25 Nov 2025 09:47 AM (IST)Updated: Tue 25 Nov 2025 09:47 AM (IST)
agriculture-anand-farmer-earns-around-80000-per-acre-by-cultivating-turmeric-naturally-644071

Natural Farming: આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત દિપકભાઇ છગનભાઇ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, તુવેર, મરચાં અને કાકડી જેવા પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડે છે.

હળદરની ખેતી

દિપકભાઈએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરેનો અસરકારક ઉપયોગ કરીને ખેતી શરૂ કરી છે. વર્ષ 2020 દરમિયાન તેમણે પોતાના ખેતર પર હળદરનો પાક ઉગાડ્યો હતો, જે સંપૂર્ણ પણે પ્રાકૃતિક રીતે કરવામાં આવ્યો હતો. એક વિઘામાં બિયારણ, છાણિયું ખાતર, જીવામૃત અને નિંદામણ સહિત આશરે રૂપિયા 70,000 જેટલો ખર્ચ થયો હતો. પાક પછી હળદરનું પ્રોસેસિંગ કરીને છૂટક વેચાણ કરતાં તેમને આશરે રૂપિયા 1,50,000 નો શુદ્ધ નફો થયો હતો. આમ,પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે તેમણે આશરે 80 હજારનો નફો મેળવ્યો હતો.

આ ઉપરાંત ચાલુ વર્ષે તેમણે ફરી એક વિઘામાં પ્રાકૃતિક પદ્ધતિથી હળદરની ખેતી કરી છે, જેમાંથી તેમને અંદાજે રૂપિયા 3 લાખ જેટલી આવક થવાની આશા વ્યક્ત કરી હતી.

વિવિધ બાગાયતી પાકોનું વાવેતર

બાગાયત વિભાગ તરફથી ખેડૂત દીપકભાઈને હળદરના પ્રોસેસિંગ સાધનો માટે રૂપિયા 42,000 ની સહાય આપેલ છે તેમજ ચાલુ વર્ષે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અંતર્ગત રૂપિયા 9,600 સહાય આપવામાં આવેલ છે. આ સહાયોથી પ્રાકૃતિક ખેતીને વધુ ગતિ મળી છે અને ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિઓ તરફ આકર્ષાઈ રહ્યાં છે.

આમ, દિપકભાઇ પટેલ માત્ર પોતાના ખેતર પૂરતા સીમિત નથી, પરંતુ તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપે છે અને પ્રોત્સાહન આપે છે.પ્રાકૃતિક ખેતીથી તેઓ જમીનની ફળદ્રુપતા વધારી રહ્યા છે, જમીન બગડતી અટકાવી રહ્યા છે અને દવામુક્ત પાક ઉગાડી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.