Gujarat Agriculture News: ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત ઓક્ટોબર મહિનામાં પડેલા માવઠાને કારણે કૃષિ ક્ષેત્રે નુકશાન થયું છે. ખેડૂતોની સ્થિતિને પારખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 10 હજાર કરોડ જેટલી માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં હવામાનની સ્થિતિ તપાસીએ તો માલૂમ પડશે કે આ વર્ષો દરમિયાન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે બદલાતી જતી મોસમની ચાલને સમજીને ખેડૂતોએ પણ પાક પદ્ધતિમાં બદલાવ કરવાનો સમય હવે પાકી ગયો છે.
જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થયું
આ બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડોક્ટર ભરત મહેતા પાસેથી જળવાયુ પરિવર્તનથી હવામાનમાં આવેલા બદલવાની કૃષિ પર પડતી અસર અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો એમણે કેટલીક બાબતો કહી તે ખરેખર આંખ ખોલનારી છે. ખેતરમાં ઓવર ફર્ટિલાઇઝેશન અને ઓવર ઇરીગેશનના કારણે જમીનને નુકસાન થયું છે.
રાસાયણિક ખાતરને કારણે જમીન બગડી
વધુમાં જણાવ્યું કે, રાસાયણિક ખાતરોના વિવેકહીન ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં સર્વત્ર સામાન્યતઃ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.5 ટકા જેટલું થયું છે. હજુ પણ જો આપણે નહીં સમજીએ તો રાસાયણિક ખાતરના વધુ ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની જશે. આ માટે તબક્કાવાર પ્રાકૃતિક કૃષિ કરીને જમીનની સ્થિતિ સુધારવી પડશે.
જમીનને કેવી રીતે નુકસાન થયું છે ? એ સમજીએ. જમીન કડક બની રહી છે. પહેલા માત્ર 30 ડિગ્રી ખુણે કોશ રાખીને હળ ચલાવવામાં આવતા તો પણ જમીન આસાનીથી ખેડાઇ જતી હતી. તેના બદલે આવે આજે ટ્રેક્ટરથી પણ ખેડવામાં મુશ્કેલ પડે છે. જમીન કડક હોવાથી જમીનમાં પાણી ઉતરતું નથી. તેના કારણે ખેતરમાં લાંબો સમય પાણી ભરાઇ રહે છે અને પાકને નુકસાન થાય છે.
નિષ્ણાતનું નિવેદન
કૃષિને નુકસાન કરતા હવામાનના બદલાવ અંગે ડો મહેતા જણાવે છે કે, શિયાળાના દિવસો ટૂંકા થઇ રહ્યા છે અને શિયાળામાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળા દરમિયાન હિટવેવ વધી રહ્યા છે. ઉનાળો ઉપરાંત ચોમાસા બાદ પણ વાવાઝોડા આવે છે. ચોમાસા દરમિયાન એક જ માસમાં આખી મોસમનો વરસાદ વરસી જાય છે અને એ માસ પણ સતત બદલાતો રહે છે. તેથી ચોમાસામાં બિન વરસાદી દિવસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન માવઠા પડી રહ્યા છે. આ બધી બાબતો જળવાયુ પરિવર્તનની અસરો સૂચવે છે.
આ બાબતોની મોટી અસર પરંપરાગત કૃષિ ઉપર થાય છે. જળવાયુ પરિવર્તનને સામે ખેડૂતોએ શું કરવું જોઈએ ? એ માટે નિવારાત્મક પગલાઓ સૂચવતા તેઓ કહે છે, ખેડૂતોને સર્વ પ્રથમ તેમની જમીનની સ્થિતિ સુધારવી પડશે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે એવા પ્રયત્નો કરવા પડશે.
ખેડૂતોએ ક્લાયમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર અપનાવી પડશે. જેમકે, બાયોટિક અને એબાયોટિક એવી જાતોની વાવણી કરવી જોઇએ જે વધુ ગરમી અને કે વધુ ઠંડીમાં સારી કરી પાકી શકે છે. આ દિશામાં સંશોધન ચાલી રહ્યા છે અને કેટલીક જાતો બજારમાં આવી ગઇ છે.
ખેડૂતોએ સંકલિત કૃષિ પદ્ધતિનો અમલ કરવો પડશે. જેમાં મિશ્ર પાક, આંતરપાક, એક જ પ્રકારના પાક વાવવાના બદલે વર્ષે દહાડે પાક બદલતા રહેવા પડશે. આંતર પાક કે મિશ્ર પાકના વાવેતરથી આવા સંજોગોમાં નુકસાનીનું પ્રમાણ ઘટાડી શકાય છે. બાગાયતી ખેતીમાં આંતરપાક સરળતાથી થઇ શકે છે. ખેત પેદાશોનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે. પશુપાલનને પ્રોત્સાહન આપવું પડશે.
આમ, ક્લાયમેટ ચેન્જને પણ કૃષિ માટે પડકાર સમજી તેનો સામનો કરવો પડશે. આ માટે કૃષિ યુનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાતી તાલીમોમાં ભાગ લઇ કે તેનું સાહિત્ય વાંચી ખેડૂતોએ સજ્જ થવું પડશે.
