Prime Minister Office: જો તમને સરકારી કામકાજમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો હોય અથવા કોઈ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં મુશ્કેલી પડતી હોય, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભારતના નાગરિકો પોતાની આવી કોઈપણ સમસ્યા અંગે સીધી વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી ફરિયાદ પહોંચાડી શકે છે. વડાપ્રધાન કાર્યાલયે આ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો ખુલ્લા મૂક્યા છે, જેથી છેવાડાનો માનવી પણ પોતાની રજૂઆત કરી શકે.
ઓનલાઈન ફરિયાદ કરવાની રીત
ડિજિટલ માધ્યમથી ફરિયાદ કરવી અત્યંત સરળ છે. તેના માટે નીચે મુજબના પગલાં અનુસરો:
- CPGRAMS પોર્ટલ: સૌપ્રથમ ભારત સરકારના મુખ્ય ઓનલાઇન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ CPGRAMS પોર્ટલ પર જવાનું રહેશે.
- નોંધણી: આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અથવા લોગિન કર્યા બાદ તમે તમારી ફરિયાદ વિગતવાર લખી શકો છો.
- દસ્તાવેજો: જો તમારી ફરિયાદને સમર્થન આપતા કોઈ પુરાવા કે દસ્તાવેજો હોય, તો તેને પણ પોર્ટલ પર અપલોડ કરી શકાય છે.
- ટ્રેકિંગ: ફરિયાદ નોંધાયા બાદ તમને એક રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે, જેના દ્વારા તમે તમારી ફરિયાદની સ્થિતિ (Status) જાણી શકશો.
ઓફલાઈન ફરિયાદ કરવાની રીત
જે નાગરિકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકતા નથી, તેઓ પરંપરાગત પદ્ધતિથી પણ PMO નો સંપર્ક કરી શકે છે:
- ટપાલ (પોસ્ટ) દ્વારા: તમે તમારી લેખિત ફરિયાદ 'વડાપ્રધાન કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી - 110011' ના સરનામે મોકલી શકો છો.
- ફેક્સ દ્વારા: નાગરિકો પોતાની ફરિયાદ સીધી ફેક્સ નંબર 011-23016857 પર પણ મોકલી શકે છે.
ફરિયાદ કર્યા પછી શું થાય છે?
વડાપ્રધાન કાર્યાલય (PMO) માં એક સમર્પિત વિશેષ ટીમ કાર્યરત છે જે નાગરિકોની ફરિયાદોની ઝીણવટભરી તપાસ કરે છે. તપાસ બાદ, આ ટીમો સંબંધિત મંત્રાલય અથવા જે તે રાજ્ય સરકારને જરૂરી કાર્યવાહી માટે ફરિયાદ મોકલી આપે છે.
નાગરિકો ગમે ત્યારે pgportal.gov.in પર જઈને પોતાના રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફરિયાદ પર શું કાર્યવાહી થઈ અને વિભાગે શું જવાબ આપ્યો તેનો રેકોર્ડ જોઈ શકે છે.
