Polo Forest Gujarat: ગુજરાત ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. તેની સાથે જ ગુજરાત એક લોકપ્રિય પર્યટન કેન્દ્ર તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં આવેલા મહેલો, સુંદર ઈમારતો અને સમુદ્રી તટ વિશ્વમાં ઘણા પ્રખ્યાત છે. હાલ ચોમાસાની ઋતુ શરુ થતાં જ પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ત્યારે કેટલાક ખાસ સ્થળો છે, જેમાં પોલો ફોરેસ્ટ ફરવા માટે વિશેષ છેે.
આવા સમયે પ્રવાસીઓ જૂનાગઢ, આબુ જેવા પર્યટન સ્થળોએ ફરવાની મજા માણતા હોય છે. ત્યારે ગુજરાતમાં પ્રકૃતિપ્રેમીઓ માટે 'પોલો ફોરેસ્ટ' જેવી શ્રેષ્ઠ જગ્યા બીજી કોઈ હોઈ શકે નહી. જો તમે પણ ચોમાસામાં ક્યાંય ફરવાં જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો 'પોલો ફોરેસ્ટ' પરફેક્ટ છે.

'પોલો ફોરેસ્ટ' ક્યાં આવ્યું છે?
'પોલો ફોરેસ્ટ' ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગરના આભાપુર ગામ પાસે આવેલું એક સમૃદ્ધ કુદરતી વન છે, અંદાજે 400 ચો કિમી વિસ્તારમાં ફેલાયેલું આ જંગલ વિસ્તાર ચોમાસા દરમિયાન જીવંત થઈ ઉઠે છે. તે અમદાવાદ અને ગાંધીનગર અને અમદાવાદ જેવા મોટા શહેરોની નજીક આવેલું હોવાથી વન-ડે પિકનિક તરીકે ઉત્તમ સ્થળ છે.
પોલો ફોરેસ્ટની વિશેષતાને લીધે સમગ્ર રાજયમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, અહીં ઉંચા પહાડ, ઝાડ છોડ વરસાદી માહોલથી હરીયાળાં બની જાય છે.
- ગાંધીનગરથી અંતર: આશરે 129 કિમી
- અમદાવાદથી અંતર: 147 કિમી
પોલો ફોરેસ્ટની મુખ્ય વિશેષતા અને આકર્ષણો
ઐતિહાસિક મંદિરોનું આકર્ષણ
પોલો ફોરેસ્ટની અંદર 15મી અને 16મી સદીના પ્રાચીન શિવમંદિરો અને જૈન મંદિરો આવેલા છે. જૈન અને શિવ મંદિરો પર અદ્ભુત કોતરણી પણ આવેલી છે. તેમજ વનમાં 16મી સદીમાં નિર્માણ પામેલા ભવન પણ છે. આ પૌરાણિક ભવનોના અવશેષો ઈતિહાસપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.
હરણાવ નદી અને બંધ
પોલો જંગલની મધ્યમાં વહેતી પવિત્ર હરણાવ નદી અને તેના પર બાંધેલો ડેમ ચોમાસામાં છલકાઈ જાય છે. તેમજ તેનો નજારો જોવો પણ એક લ્હાવો સમાન છે. સાબરકાંઠામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશી એ તો પોતાની કવિતાઓમાં પોળોના જંગલને 'મીની કાશ્મીર' તરીકે સંબોધિત કર્યુ છે.
વનાજ ડેમ અને પોલો વ્યુ પોઈન્ટ
પોલો ફોરેસ્ટની મધ્યમાં આવેલો આ ડેમ પણ પર્યટકો માટે શાંત અને સુંદર સ્પોટ તરીકે પ્રખ્યાત છે. તેમજ આ પોઈન્ટ્સ પર જઈને પ્રવાસીઓ જંગલની સુંદરતાનો આનંદ ઉઠાવી શકે છે. તેમજ તમે ફોટોના શોખીન હોવ તો, અહીં આવેલા જંગલો, ઊંચા પહાડો અને હરિયાળી ખીણોનો મનમોહક નજારો તમે પોતાના કેમેરામાં કેદ કરી શકો છો.

પોલો ફોરેસ્ટમાં એડવેન્ચર એક્ટિવિટીઝનો અનુભવ
જો તમને પ્રકૃતિની ગોદમાં રહીને થોડો રોમાંચ પસંદ હોય તો પોલો ફોરેસ્ટ તમને બિલકુલ નિરાશ નહીં કરે. અહી આવીને પ્રવાસીઓ ટ્રેકિંગ અને હાઈકિંગ કરીને પહાડી રસ્તાઓ અને ગાઢ જંગલો વચ્ચતે અદ્ભુત આનંદ માણી શકે છે ઉપરાંત રોપ ક્લાઈમ્બિગ કરીને પહાડો પર ચડવાનો રોમાંચક અનુભવ છે. હરણાવ નદી કિનારે શાંત પાણીમાં માછીમારીની મજા પણ માણી શકાય છે.
પોળોનાં જંગલ વિશે જાણવા જેવી માહિતી
તમને જણાવી દઈએ કે, આ જંગલ સાબરકાંઠાના ઇડર તાલુકાના વિજયનગર પાસે આવેલું છે. લોકમુખે કહેવાતી વાતો મુજબ, પ્રાચીન પોળો શહેર હરણાવ નદી કાંઠે વસેલું હતું. ઈડરના પરિહાર રાજાઓએ 10મી સદીમાં આ નગરની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ નગર પર રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ સ્થળને કબ્જે કર્યું હતું.
આ સ્થળ રાજસ્થાન અને ગુજરાતની બરાબર વચ્ચે આવેલું હોવાથી તેને 'દ્વાર'નું પ્રતીક આપવામાં આવ્યું તેવી લોકમુખે કહેવાતી વાત છે. આ જંગલમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું આયોજન કરાય છે. જેમાં રાજ્ય અને ફોરેનર્સ પ્રવાસીઓ પણ ઉમટે છે.
શિયાળામાં અહીં 275 જાતના પક્ષીઓ આવે છે તેમજ અહીં 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે. ઉપરાંત 450થી વધારે ઔષધિઓથી પોલો ફોરેસ્ટ સમૃદ્ધ છે.
પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે સુવિધા
- પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે ડેમથી પાંચ કિમીના અંતરે ફોરેસ્ટ હાઉસની વ્યવસ્થા છે.
- અહીં આજુબાજુ આવેલા ઢાબામાં પ્રવાસીઓ માટે જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
- પોલો ફોરેસ્ટમાં ફોટોગ્રાફી કરતાં પ્રવાસીઓ માટે પોઈન્ટ્સ પણ આવેલા છે.
પોલો ફોરેસ્ટ કેવી રીતે પહોંચવું?
તમને જણાવી દઈએ કે, જો તમે અમદાવાદ અને ગાંધીનગરથી પોલો ફોરેસ્ટ જવા માંગતા હોય તો તમે કાર, બાઈક અથવા પ્રાઈવેટ ટેક્સી કરીને સીધા વિજયનગર થઈને પોલો ફોરેસ્ટ પહોંચી શકો છે . ઉપરાંત એસ.ટી. બસ મારફતે વિજયનગર પહોંચીને ત્યાંથી લોકલ ટ્રાન્સપોર્ટની મદદથી જંગલની મુલાકાત લઈ શકાય છે.
- કાર
- બાઈક
- પ્રાઈવેટ ટેક્સી
- એસ.ટી. બસ


