IND vs SA: SKY માટે કેપ્ટનશિપ બની અભિશાપ? પોતાનો જ રેકોર્ડ જોઈને આવશે શરમ

પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં, સૂર્યકુમાર યાદવ ફક્ત 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Tue 09 Dec 2025 09:13 PM (IST)Updated: Tue 09 Dec 2025 09:13 PM (IST)
ind-vs-sa-captaincy-has-become-a-curse-for-sky-will-be-ashamed-to-see-his-own-record-652481

IND vs SA Suryakumar Yadav: ભારતીય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે 19-20 ઇનિંગ્સ પહેલા પોતાની હાફ સેન્ચુરી ફટકારી હતી. જુલાઈ 2024માં કેપ્ટન બન્યા પછી તેને ફક્ત બે અડધી સદી મારી છે. છેલ્લી 19 ઇનિંગ્સમાં ફક્ત 222 રન કર્યા છે. આ આંકડા ભારતીય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવના છે. સૂર્યા પોતાના મનપસંદ ફોર્મેટમાં રન બનાવવા માટે ઝંખી રહ્યો છે.

પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેણે પોતાની છેલ્લી અડધી સદી ફટકાર્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં, સૂર્યા તેના મનપસંદ બેટિંગ પોઝિશન નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ઉતર્યો હતો, પરંતુ તેનું ખરાબ ફોર્મ અહીં પણ યથાવત જ જોવા મળ્યું હતું.

ફરી ફ્લોપ સૂર્યકુમાર યાદવ
પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી. ટીમની શરૂઆત ખરાબ રહી, વાઈસ-કેપ્ટન શુભમન ગિલ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. ગિલે માત્ર 4 રન બનાવ્યા અને મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે પોતાની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ક્રીઝ પર આવ્યો. બધાને સૂર્યા પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી.

જોકે, સૂર્યાએ ફરી એકવાર તેના ચાહકોને નિરાશ કર્યા. તે 11 બોલની ઇનિંગમાં ફક્ત 12 રન બનાવીને આઉટ થયો. સૂર્યકુમારે એક ફોર અને એક સિક્સર ફટકારી. તેને લુંગી એનગિડીનો બોલ હવામાં ઉડાવ્યો અને માર્કરામે તેને પકડવામાં કોઈ ભૂલ કરી નહીં.

2025માં સંપૂર્ણ પણ નિષ્ફળ ગયો સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવે 2025માં કુલ 18 ટી20 મેચ રમી છે, જેમાં 16 ઇનિંગ્સમાં 15.07ની સરેરાશથી માત્ર 196 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ પણ માત્ર 136.45 રહી છે. યાદવે આ વર્ષે ટી20 મેચમાં હજુ સુધી એક પણ ફિફ્ટી ફટકારી નથી. વર્લ્ડ કપ પહેલા કેપ્ટનનું ફોર્મ ચિંતાનું કારણ છે.

શું કેપ્ટનશીપ અભિશાપ બની ગઈ છે?
T20 વર્લ્ડ કપ 2024 પછી કેપ્ટનશીપ સંભાળ્યા પછી, સૂર્યકુમાર યાદવ રન બનાવવાની કળા ભૂલી ગયા હોય તેવું લાગે છે. કેપ્ટનશીપ સંભાળ્યા પછી તેણે ફક્ત બે અડધી સદી ફટકારી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેણે છેલ્લી અડધી સદી ફટકાર્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેની છેલ્લી અડધી સદી 12 ઓક્ટોબર, 2024ના રોજ બાંગ્લાદેશ સામે આવી હતી. મોટી ટીમો સામે સૂર્યા રન માટે સખત સંઘર્ષ કરી રહ્યો છે. તેની છેલ્લી 10 ઇનિંગ્સમાં તેણે ફક્ત એક જ વાર 30 રનનો આંકડો પાર કર્યો છે.

સૂર્યકુમાર યાદવ ભારતની T20 ટીમમાં ફક્ત એટલા માટે રહે છે કારણ કે તે કેપ્ટન છે. જોકે, સત્ય એ છે કે સૂર્યાના સતત ઘટતા ફોર્મને કારણે ટીમ મેનેજમેન્ટનું ટેન્શન વધી ગયું છે. જો સૂર્યા ટૂંક સમયમાં પોતાનું ફોર્મ પાછું નહીં મેળવે, તો પ્લેઇંગ ઇલેવનમાં તેના સ્થાન સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે.