Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. જેના પગલે દિવસ દરમિયાન જે ગરમીનો વધારો જોવા મળી રહ્યો છે, તેમાં આંશિક રાહત થઇ શકે છે. જોકે ત્યારબાદ ફરી ગરમીનો પારો ઉંચકાશે. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી જેના પગલે રાત્રી દરમિયાન ક્યારેક ઠંડી તો ક્યારેક હુંફાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તે યથાવત રહી શકે છે.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગના સિનોપ્ટિક રિપોર્ટ મુજબ, હાલમાં ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર ચાર જેટલા વાતાવરણીય પરિભ્રમણ સક્રિય છે. આ ઉપરાંત, દક્ષિણ આંતરિક કર્ણાટકથી મરાઠવાડા સુધી એક ટ્રફ લાઇન પણ વાતાવરણમાં જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં ભેજનો અભાવ અને તાપમાનમાં વધઘટનો અનુભવ થઈ રહ્યો છે. આગામી સાત દિવસ દરમિયાન, શરૂઆતના ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં આશરે 2 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, ત્યારબાદ ગરમીમાં નોંધપાત્ર વધારો થઇ શકે છે, કારણ કે મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો વધારો જોવા મળશે. આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જે સૂચવે છે કે રાત્રિના સમયે પણ હૂંફાળું વાતાવરણ જળવાઈ રહેશે. એકંદરે, આગામી સપ્તાહ દરમિયાન સૂકું વાતાવરણ અને તાપમાનની વધઘટ જોવા મળશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાતાવરણ પર જોવા મળશે અસર
હવામાન વિભાગ અનુસાર, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાતાવરણના મધ્ય ભાગમાં લગભગ 65° પૂર્વ અને 36° ઉત્તર અક્ષાંશની આસપાસ એક ચક્રવાત પરિભ્રમણ તરીકે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, 2 માર્ચથી એક નવો પશ્ચિમી વિક્ષોભ પશ્ચિમ હિમાલયના વિસ્તારોને અસર કરશે તેવી આગાહી કરવામાં આવી છે. બે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવ હેઠળ, પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. વાતાવરણના નીચલા ભાગમાં, દક્ષિણ આંતરિક કર્ણાટકથી લઈને મરાઠાવાડા સુધી એક દબાણની રેખા (ટ્રફ લાઇન) વિસ્તરેલી છે, અને દેશના વિવિધ ભાગોમાં ચક્રવાત પરિભ્રમણ પણ સક્રિય છે.
અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ યથાવત
ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ઉપલા વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ યથાવત રહ્યું છે. આજે, 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે 08:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) આ પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઉપર જોવા મળ્યું છે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં છૂટાછવાયા નીચાથી મધ્યમ વાદળો અને નબળાથી મધ્યમ સંવહન પ્રવર્તી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 168 કલાક એટલે કે સાત દિવસ દરમિયાન ચક્રવાત અથવા ડિપ્રેશન બનવાની કોઈ જ શક્યતા દર્શાવવામાં આવી નથી. ગુજરાત ઉપર સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ અન્ય એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. આ વાતાવરણીય પ્રણાલીઓ ભેજની ગેરહાજરી અને સૂકા હવામાન માટે જવાબદાર પરિબળો છે.
